જન્મમૃત્યુનો અનુભવ દરેક માણસને છે જ. યથાકાળે એ મળે જ છે. મારે પણ કેટલાંય સગાંવહાલાંને અને આદરણીય સત્પુરુષોને સ્મશાન સુધી પહોંચાડવા પડ્યાં છે. મારે મન સ્મશાન એ અત્યંત પવિત્ર જગ્યા છે. જ્યાં આપણે સગાંવહાલાંનાં શરીરની અંતિમ સેવા કરી એ સ્થાન આપણે માટે અત્યંત પવિત્ર જ હોવું જોઈએ. હિંદુ સંસ્કૃતિમાં મરી ગયેલા માણસનું શરીર અપવિત્ર મનાય છે. સ્મશાન વિશે આદર રાખવાને બદલે એ સ્થાનને આપણે અશુભ માનીએ છીએ એ મોટો દોષ છે.
આ સ્થિતિ સુધારવા માટે મેં એક લેખમાળા લખી હતી. ‘સ્મશાનયાત્રા’ એવું જ નામ એને આપત. પણ વાચકોને એ ગમશે નહીં એવો વિચાર મનમાં આવવાથી શીર્ષક આપ્યું ‘જ્યાં દરેકને પહોંચવું જ છે.’
મુંબઈના ગુજરાતી સાપ્તાહિક ‘સુધા’માં આ લેખમાળા ક્રમશ: છપાઈ હતી. વાચકોએ એનું રસપૂર્વક સ્વાગત કર્યું હતું. મને એવો ખ્યાલ છે કે આ લેખમાળા માટે આ સુંદર શીર્ષક ‘સુધા’ના તંત્રીએ સુઝાડ્યું છે. મને એ શીર્ષક ખૂબ ગમ્યું. આ શીર્ષકથી સૂચવાય છે કે આપણો પણ ત્યાં હક્ક છે.
સગાંવહાલાંને મૂકવા જઈએ ત્યારની ભાવના સામાન્ય રીતે લાગણીપ્રધાન હોય છે. સ્વદેશના રક્ષણને અર્થે જેઓ લડ્યા અને મર્યા એમની સ્મશાનયાત્રાનું દર્શન, ચિંતન અને સ્મરણ અદ્ભુત હોય છે. એ દર્શન દ્વારા માનવી સંસ્કૃતિની અનેક બાજુઓ ચિંતનનો વિષય બને છે. —કાકા કાલેલકર